LAC પર ફરી અથડામણ, ભારતીય સેનાએ ચીનને આપ્યો જડબાતોડ જવાબ, 20 ચીની સૈનિક ઘાયલ

સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ LAC પર આ ઘર્ષણ ગત અઠવાડિયે થયું હોવાનું કહેવાય છે. આ અથડામણમાં ચીનના 20 સૈનિકો ઘાયલ થયા હતા જ્યારે ભારતના 4 સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા. ચીની સૈનિકો એલએસી પાર કરવાની ફિરાકમાં હતા. 

LAC પર ફરી અથડામણ, ભારતીય સેનાએ ચીનને આપ્યો જડબાતોડ જવાબ, 20 ચીની સૈનિક ઘાયલ

નવી દિલ્હી: પૂર્વ લદાખ ( East Ladakh) માં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર તણાવ વચ્ચે સિક્કિમમાં ભારત અને ચીન (China) ની સેના વચ્ચે ઘર્ષણના સૂત્ર દ્વારા સમાચાર મળ્યા છે. કહેવાઈ રહ્યું છે કે ગત અઠવાડિયે સિક્કિમના નાકૂલામાં ચીની સેનાએ એલએસીની યથાસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યો હતો અને તેના થોડા સૈનિકો ભારતીય વિસ્તારોમાં આગળ વધવાની કોશિશ કરતા હતા ત્યારે ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને રોક્યા. આ ઘર્ષણમાં જો કે હથિયારોનો ઉપયોગ ન થયો હોવાનું કહેવાય છે. 

આ દરમિયાન ભારત અને ચીનના સૈનિકો ( India China Clash) પરસ્પર ભીડી ગયા જેમાંથી ચાર ભારતીય અને 20 ચીની સૈનિકો ઘાયલ થયા છે. ભારતીય જવાનોએ ચીની સૈનિકોને ખદેડી મૂક્યા. જો કે હજુ પણ સ્થિતિ તણાવપૂર્ણ છે. પરંતુ સ્થિર છે. ભારતીય સેના ( Indian Army) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે ભારતીય ક્ષેત્રની સાથે તમામ પોઈન્ટ પર હવામાનની સ્થિતિ ખરાબ હોવા છતાં ખુબ સતર્કતા વર્તવામાં આવી રહી છે. નાકૂલા સેક્ટર સમુદ્રતટથી 5000 મીટરથી વધુ ઊંચાઈ પર સ્થિત છે. આટલી ઊંચાઈ પર આટલી ભયંકર ઠંડીમાં આવી ઘટના ઘટે તે જણાવે છે કે એલએસી LAC પર હાલાત કેટલા ખરાબ છે. 

સેનાએ આપ્યું આ નિવેદન
સિક્કિમના નાકૂલામાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ પર ભારતીય સેનાએ નિવેદન બહાર પાડ્યું. સેનાએ કહ્યું કે બંને દેશોની સેનાઓ વચ્ચે મામૂલી ઘર્ષણ થયું હતું. સ્થાનિક સ્તરના કમાન્ડર્સે તરત જ વિવાદને ઉકેલી લીધો. ભારતીય સેનાએ કહ્યું કે 20 જાન્યુઆરીએ જવાનોમાં મામૂલી ઘર્ષણ થયું હતું. 

ભારતીય વિસ્તારમાં ઘૂસવાની કોશિશ કરી રહેલા ચીની સૈનિકોના આ પગલાથી LAC પર હાલાત તણાવપૂર્ણ છે. આ તણાવને ઓછો કરવા માટે પૂર્વ લદાખના મોલ્ડોમાં ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે ગઈ કાલે 9માં રાઉન્ડની વાતચીત થઈ જે લગભગ 15 કલાક ચાલી. આ બેઠકમાં ભારતે એકવાર ફરીથી સ્પષ્ટ કરી દીધુ કે ચીની સેના  (People's Liberation Army-PLA) એ તમામ ઘર્ષણવાળી જગ્યાઓ પરથી પાછા ફરવું પડશે. રવિવારે થયેલી આ બેઠકનો હેતુ બંને દેશો વચ્ચે સંઘર્ષ પર વિરામ લગાવવા સમાધાન કાઢવાનો હતો. આ અગાઉ પણ અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ ચીનના વલણના કારણે કોઈ સાર્થક પરિણામ નીકળ્યું નથી. 

કલાકો સુધી ચાલી બેઠક
મળતી માહિતી મુજબ કોર્પ્સ કમાન્ડર સ્તર(Corps Commander Meeting) ની બેઠક પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન (China) તરફ સ્થિત મોલ્ડોમાં સવારે 10 વાગે શરૂ થઈ અને રાતે અઢી વાગ્યા સુધી ચાલતી રહી. આ દરમિયાન ભારતે (India) કહ્યું કે ઘર્ષણવાળી જગ્યાઓ પર ડિસએન્ગેજમેન્ટ અને ડી-એસ્કેલેશનની પ્રક્રિયાને આગળ વધારવાનું ચીન પર છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ છ નવેમ્બરે થયેલી આઠમા રાઉન્ડની વાતચીતમાં બંને પક્ષોએ ઘર્ષણવાળી જગ્યાઓ પરથી સૈનિકોને પાછળ હટાવવા પર વ્યાપક ચર્ચા થઈ હતી. 

મેનન કરી રહ્યા હતા ભારતનું નેતૃત્વ
ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેહ સ્થિત 14મી કોરના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ પીજીકે મેનન કરી રહ્યા છે. ભારત સતત કહેતું આવ્યું છે કે પહાડી વિસ્તારોમાં ઘર્ષણવાળી તમામ જગ્યાઓ પરથી સૈનિકો પાછા બોલાવવાની પ્રક્રિયાને આગળ વધારવા અને તણાવને ઓછો કરવાની જવાબદારી ચીનની છે. કોર કમાન્ડર સ્તરની સાતમા તબક્કાની વાતચીતમાં ચીને પેન્ગોંગ ઝીલના દક્ષિણ તટની આસપાસ વ્યુહાત્મક રીતે મહત્વના ઠેકાણાઓ પરથી ભારતીય સૈનિકોને પાછા હટાવવા પર ભાર મૂક્યો હતો. પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું હતું કે ઘર્ષણવાળી તમામ જગ્યાઓથી સૈનિકોની પાછા બોલાવવાની પ્રક્રિયા એક જ સમય પર શરૂ થવી જોઈએ. 

China નથી ઈચ્છતું વાત બને?
ચીન સાથે વિવાદને જોતા પૂર્વ લદાખમાં ભારતીય સેનાએ લગભગ 50 હજાર જવાનો તૈનાત કરેલા છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ આટલી જ સંખ્યામાં ચીને પણ પોતાના સૈનિકો તૈનાત કરેલા છે. ભારત સતત શાંતિપૂર્ણ રીતે વિવાદ ઉકેલવાની વાત  કહેતું આવ્યું છે. પરંતુ ચીન તરફથી દર વખતે કઈને કઈ એવું થાય છે કે સમાધાનની ગાડી પાટા પરથી ઉતરી જાય છે. ચીન જાણી જોઈને આ મુદ્દાને ઉકેલવાના મૂડમાં જોવા મળતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news